“ઈશાવસ્ય શ્લોક- ૧૭,૧૮

December 4, 2007

jump to navigation

 

શ્લોક - ૧૭

વાયુઃ અનિલં અમૃતં અથેદં ભસ્માન્તં શરીરમ્ ૤
ક્રતો સ્મર કૃતં સ્મર ક્રતો સ્મર કૃતં સ્મર ૤૤

રહો પ્રાણ (મારો) અમૃત અનિલે
થાઓ ભસ્મ દેહ આ (મારો)
ૐ ધાર્યું સ્મર, કર્યું સ્મર -ધાર્યું સ્મર,કર્યું સ્મર.

હવે જયારે જીવનનો સૂર્ય અસ્તાચળ સુધી પહોંચી ચુકયો છે અને ડુબવાની તૈયારીમાં છે ત્યારે સાધક પોતાના મનનું અને જીવનભર કરેલા કર્મોનું સરવૈયું કાઢતા પોતાના મનને પૂછે છે કે હે મન હે ક્રતુ, હે મારા મનોબળ તેં જીવનભર શું શું ધાર્યું હતું અને તે શું શું કર્યું તેનું સ્મરણ કર.આપણા જીવન દરમિયાન જે જે કર્મો કર્યાં હોય જે જે વિચારો સેવ્યાં હોય તે જ વિચારો છેલ્લી ઘડીએ યાદ આવે.

યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરં ૤
તં તેમેવૈતિ કૌતેય સદા તભ્દાવભાવિતઃ ૤૤ ગીતા ૮-૬

એનો અર્થ છે કે મનુષ્ય અંતકાળે જે જે પદાર્થનું સ્મરણ કરતો દેહ છોડે છે તે તે પદાર્થોને જ તે એના પુનર્જન્મમાં પામે છે.અર્થાત આમાનાં જે જે વિચારો, જે જે એષણાઓ અપૂર્ણ રહેવાથી મનમાં તેનો વસવસો રહી ગયો હોય (પોટન્ટ ડીઝાયર્સ )તે બધા વિચરો અને એષણાઓ પુનર્જન્મમાં મનની વાસના રૂપે પ્રગટ થાય,વળી એવી ઇચ્છાઓ કે અધુરી રહી હોય છતાં મનમાં જેનો વસવસો ન રહયો હોય (લેટન્ટ ડીઝાયર્સ) તે પુનર્જન્મમાં સંસ્કાર બની પ્રગટ થાય. કહેવાની મતલબ એ છે કે જીવનભર આપણે જે જે ધાર્યું હોય જે જે કર્યું તે જ મૃત્યુ વખતે યાદ આવે છે.અહીં ઇશાવાસ્ય વૃત્તિથી જીવન જીવી ચુકેલા સાધકને મનનું સરવૈયું કાઠતાં બતવ્યો છે.આવો સાધક છેલ્લી ઘડીએ મોક્ષનો વિચાર કરતો જણાય છે.તે પ્રાર્થે છે કે ભલે આ મરો દેહ ભસ્મસાત થઇ જાય પણ મરો આ પ્રાણ અનિલમાં અર્થાત માતરિશ્વમાં ભળો.મૃત્યુ વેળા આવા ઉદ્દગાર તો જેને દેહનો કે સંસારનો જરા પણ મોહ રહયો નથી તે જ કાઢી શકે.પૂજય ગાંધીજી એમનું જીવન આવી ઇશાવાસ્ય વૃત્તિથી જીવ્યા એટલે જ મૃત્યુ સમયના એમના ઉદ્દગાર હતા “હે રામ ”

શ્લોક-૧૮
અગ્ને નય સુપથા રાયે અસ્માન્
વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્ધાન ૤
યુયોધિ અસ્મદ્ જજુહુરાણમેનો
ભયિષ્ટામ્ તે નમ ઉકિતં વિધેમ ૤૤

હે પ્રાણ, લઇજા સુપથે સિદ્ધિ માટે
(તું છે)વિશ્વદેવ સહુ કર્મો જાણનાર
કરી દે દૂર અમ પાપ વાંકા જનારા
ઝાઝાં હો નમન તને અમારા.
શ્લોક સત્તરમાં મન સુધી પહોંચાલો સાધક આ શ્લોકમાં એના આત્માને પ્રાર્થના કરતો હોય એમ લાગે છે. ‘વયુનાનિ’ નો અર્થ છે કર્મો. સાધક જાણે છે કે આપણા બધાં જ કર્મોનું સાક્ષી છે આપણું મન.પણ મનનો કોઇ સાક્ષી હોયતો તે છે આપણો આત્મા. અને તેથી જ સાધક આત્માને વારંવાર (ભૂયિષ્ટામ્ ) વિનંતી કરે છે કે હે આત્મા,તું તો અમારા મનનો પણ સાક્ષી છે એટલે તું અમારા કીધેલા બધાજ કર્મો જાણે છે.તો તું અમને,પાપ કર્મો કરાવનારા આ અમારા દેહ અને મનથી દૂર કરી સિદ્ધિના સરળ માર્ગે લઇજા.

ઉપસંહાર
આ ઉપનિષદમાં ૠષિ આપણને સમજાવે છે કે ‘અદઃ અને ઇદં’ અર્થાત પુરૂષ અને પ્રકૃતિ રૂપે ભાસતા બે પૂર્ણ વાસ્તવમાં એક જ છે છતાં તે બે જુદા જુદા હોય એવી પ્રતિતી થવાનું કારણ છે જોનારની દ્રષ્ટિ,જોનારનું મન.જો પ્રકૃતિના કણ કણમાં પુરૂષનો વાસ હોય અને જો પુરૂષ પૂર્ણ હોય તો તે પ્રકૃતિ અપૂર્ણ કેવી રીતે હોઇ શકે ? અહીં ૠષિ વિવિધ પ્રકૃતિના લોકો માટે વિવિધ શબ્દો વાપરી એક જ વાત સમજાવે છે.એમના મત પ્રમાણે સહુના જીવનમાં ભોગ અને ત્યાગ, વિદ્યા અને અવિદ્યા તથા સંભૂતિ અને વિનાશનું જ્ઞાન અનીવાર્ય છે અને તેથી જ તે બધાની પુરતી સમજ કેળવવી જ જોઇએ. વધારામાં એમ પણ કહયું કે આ બાબતો વિશેના વિચારો જમાના પ્રમાણે બદલાતા રહે છે તેથી દરેક વ્યકિતએ તત્કાલીન ધીર પુરૂષોની સલાહ પ્રમાણે ચાલવું. ૠષિનું કહેવું છે કે જયારે કોઇ વ્યકિત પોતાના મનમાં પુરૂષ અને પ્રકૃતિને એક બીજામાં ઓત પ્રોત કરી મુકે છે ત્યારે જ એને સાચું બ્રહ્મજ્ઞાન લાધે છે.આવી વ્યક્તિત જ સુખ દુઃખમાં મનની સ્વસ્થતા સાચવી શકે છે. પારકાઓ પ્રત્યેની ઘૃણાનો ત્યાગ કરી શકે છે.અને આવી વ્યકિત જ અંત કાળે ભસ્મસાત થનાર દેહનો મોહ રાખ્યા વગર પોતાનો પ્રાણ પુરૂષમાં ભળી જાય એવી પ્રાર્થના કરી શકે. આમ ઇશાવાસ્ય ઉપનિષદમાં “આત્મા-પરમાત્મા”, “ભોગ-ત્યાગ”, “વિદ્યા-અવિદ્યા” તથા “સંભૂતિ- વિનાશ” જેવા ચાર દ્વૈતની ચર્ચા કરવામાં આવી છે.અને તમો ગુણી,રજો ગુણી, સત્વ ગુણી લોકોએ સત્યની શોધ માટે કેવી રીતે જીવનનું ઘડતર કરવું જોઇએ તેની સજમ આપી છે.મેં શરૂઆતમાં જ કહેલું કે પૂર્ણ ‘મદઃ પૂર્ણં ઇદં’ એ શાંતિ મંત્ર સમજાવવા કોઇ ધીર પુરૂષે અઢાર શ્લોકનું જે સંક્ષીપ્ત ભાષ્ય લખ્યંુ તે છે આ ઇશોપનિષદ. અઢાર શ્લોકમાં આટલું બધું સમજાવનાર ૠષિને નત મસ્તકે એટલું જ કહેવું રહયું કે
હે ૠષિવર્ય,
ભૂયિષ્ઠામ તે નમઃ ૤ ભૂયિષ્ઠામ તે નમઃ ૤ ભૂયિષ્ઠામ તે નમઃ ૤

અહીં આ સાથે ઇશોપ્નિષદની બાળપોથીની પૂર્ણાહુતિ કરું છું

Entry Filed under: ચિંતન લેખ. .

1 Comment Add your own

  • 1. RASHMIKANT C DESAI  |  December 5, 2007 at 5:16 pm

    ઘણા બધા પરમપૂજ્ય ધર્મધૂરંધર સ્વામી શ્રી ‘ફલાણાનંદજી’ કે ‘ઢીંકણાનંદજી’ ઓએ લખેલા કે કહેલા ઈશાવાસ્ય ઉપનિષદ્ પરના ભાષ્યોથી કંટાળેલા મને છેવટે કઈક સમજી અને સ્વીકારી શકાય તેવું વાંચવા મળ્યું તેથી આનંદ થયો. જો કે સંપૂર્ણપણે સહમત થઈએ તો આપણે મનુષ્યો શાના? તો થોડી ઊંધી વાત કરૂ>?

    સત્યનું મુખ શું કાયમ માટે ઢંકાયેલું રહી શકે ખરું? હિરણ્યમય પાત્ર શું એવું સ્વયંસંચાલિત બનેલું છે કે કોઇએ ખસેડ્યું હોય તો તે આપમેળે જઈને સત્યને ફરીથી ઢાંકી દે? સત્ય તો સદૈવ ઉઘાડું (અપાવૃત) જ હોઈ શકે. કેવળ એટલું જ કે આપણે તેને જોઈ શકતા નથી કારણ કે આપણે હકીકતોને પૂર્વગ્રહોના ચશ્માઓમાંથી જોતા હોઈએ છીએ. આપણી દૃષ્ટિ ઢંકાયેલી હોય છે. આપણી આંખો પર પડળ ઝામી જાય છે.

    આ પડળો વિવિધ પ્રકારના હોય છે. કેટલાક પડળો આપણી વિચારસરણી સંબંધિત હોય છે, જેવી કે મૂડીવાદી, સમાજવાદી ઇત્યાદિ. બીજા કેટલાક પડળો આપણા સ્વાર્થમાંથી ઉપજે છે. વળી આપણું મમત્વ પણ સત્ય દર્શન રૂંધે છે. આપણી સંસ્કૃતિ, ધર્મ કે પરંપરાથી પ્રતિકૂળ હોય તેવું કોઈ પણ સત્ય જોવા આપણે તૈયાર નથી હોતા. પણ સૌથી પ્રબળ અવરોધ હોય છે આપણી શ્રધ્ધાનો. શ્રધ્ધા અને ભક્તિભાવના રૂપાળા અંચળા હેઠળ આપણે ઘણા અસત્યો અને અન્યાયોને ધરબી દીધા છે. શ્રધ્ધાની સોહામણી જાળ પાથરીને આપણે એવા ‘ભક્તો’ ઉત્પન્ન કરીએ છીએ કે જેઓ અંતઃકરણપૂર્વક સ્વયંભૂ પ્રાર્થના કરવાને બદલે ધર્મગુરૂઓએ નિયંત્રિત કરેલા પૂર્વનિર્ધારિત સમયે, રીતે અને શબ્દોમાં યંત્રવત્ સામૂહિક પ્રાર્થના કરે છે. ભક્તિ એટલે પરમેશ્વર રૂપી પતિ પ્રત્યેની જીવાત્મા રૂપી પત્નીની ઉત્કટ લાગણી અને તે જાહેરમાં નિયંત્રિત રીતે ન થઈ શકે તે સમજવામાં આપણી ગુરૂઓ પરની શ્રધ્ધા નડે છે. ગુરૂઓને પણ તે અનુકૂળ આવે છે.

    વળી દેહને ‘હિરણ્યમય પાત્ર’ કહેવો તે બરાબર નથી. ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્’ છે તેની નિંદા કરી શકાય? નહીં જ. તે પણ આત્મા જેટલો જ મહત્ત્વનો છે ન તો ઓછો, ન વધારે. જેટલો નકામો આત્મા વગરનો દેહ છે તેટલો જ નકામો દેહ વગરનો આત્મા (ભૂત?) પણ છે. દેહ વગર તો વિષ્ણુને પણ નથી ચાલ્યું. તેથી જ તો નવ નવ વાર દેહ ધારણ કરવો પડ્યો હતો ને? નિર્ગુણ પરમેશ્વર નિર્ગુણ અવસ્થામાં જ દુષ્ટોનો વિનાશ અને સજ્જનોનું પરિત્રાણ કેમ ન કરી શક્યા?

    પુનર્જન્મ છે કે નહીં તે સ્પષ્ટ નથી. ન હોય તો પણ ઠીક ને હોય તો પણ ઠીક. બધા જ બ્રહ્મનિર્વાણ પામે તો ઈશ્વરના નાના કામો કોણ કરે? ઘડીઘડી અવતાર થોડા જ લેવાય છે? સાચા ઈશ્વરપ્રેમીઓ તો અનેક જન્મોમાં ઈશ્વરના કાર્યો કરવા તત્પર રહે, મોક્ષ ન વાંછે.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Top Posts

Recent Comments

Pravin Shah on ” The Shadow and The…
pragnaju on “શ્રદ્ધા …
pragnaju on ધર્મ,અર્થ,ક…
kaushik patel on “ચિતા નો…
પ્રવિણ … on સ્વાગત અને …

Archives

Calendar

December 2007
M T W T F S S
« Nov   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Blog Stats

Spam Blocked

Meta