” ચરણ રજ “
ચરણ રજ
આપણા સમાજમાં પત્નિએ પતિની, શિષ્યએ ગુરૂની અને નાનેરાઓએ વડીલોની ચરણ રજ લેવાનો રીવાજ પરાપૂર્વથી ચલ્યો આવે છે. અને જે પત્નિ, શિષ્ય કે વ્યકિત આ રીવાજનું પાલન કરે છે તે સમજદાર અને વિવેકી ગણાય છે. પણ ચરણ રજનો સાચો અર્થ ન સમજીએ તો કોઇના ચરણને સ્પર્શ કરવાથી આપણને લાભ થાય ખરો ? ચરણનો પ્રચલીત અર્થ છે પગ પણ બીજા પણ કેટલાક અર્થ છે જે સમજવા જેવા છે. એક છે ચરણ એટલે વિચરણ અથવા ભ્રમણ કરવાની ક્રિયા જેમકે સ્મરણ એટલે યાદ કરવાની ક્રિયા, પોષણ એટલે પુષ્ટ કરવાની ક્રિયા વગેરે વગેરે અને બીજો અર્થ છે કાવ્યની એક પંકિત કે ચોથો ભાગ. અને રજ એટલે કેવળ ધૂળ નહી પરંતુ એક નજીવો ભાગ.
હવે અસલના જમાનાની રહેણી કરણી અંગે વિચારીએ તો ચરણ રજનો સાચો અર્થ સમજાશે.
એ વખતના જુના જમાનામાં સ્ત્રી વર્ગ મુખ્યત્વે ઘરકામ અને બાળ બચ્ચાની સંભાળમાં વ્યસ્ત રહેતો અને પુરૂષ વર્ગ કુટુંબના ભરણ પોષણની જવાબદારીમાં આખા ગામમાં કે પરગામમાં ભ્રમણ અથવા ચરણ કે વિચરણ કરતો રહેતો. અને આ ચરણથી આખા દિવસમાં મળેલ અનુભવ જ્ઞાનથી નવરાશની વેળાએ પોતાના કુટુંબીઓને વાકેફ કરતો. આમ કુટુંબીઓને એના જ્ઞાનનો થોડો ઘણો જે કાંઇ લાભ મળતો તે જ ચરણ રજ કહેવાય. ગુરૂઓ શાસ્ત્રોના ચરણમાં - પંકિતઓમાં - વિચરણ યાને ભ્રમણ - કરી શિષ્યોને જે જ્ઞાન પ્રદાન કરે તેને ગુરૂની ચરણ રજ કહેવાય. વળી પત્નિ પણ એને દિવસ ભર થયેલા બાળ ઉછેર અને સામાજિક અનુભવોના જ્ઞાનથી પતિને વાકેફ કરે તે પણ પત્નિની ચરણ રજ જ કહેવાય. આમ મારી દ્રષ્ટિએ આપણે જીવનભર વિવિધ વિશયોમાં વિચરણ કરી મેળવેલા જ્ઞાનની આપ લે કરવી એટલે જ એક બીજાની ચરણ રજ લેવી એમ કહેવાય.
૨૮-૧૨-૦૫
Add comment April 20, 2007